![]()
(ગામ આખામાં આગ… …અલ ઐન સિટિ, UAE, નવે-૨૦૧૨)
*
લગ્નની ઢગલેબંધ કંકોતરીઓમાંથી એકાદી
ફેસબુક પર ઢોળાઈ અને ગામ આખામાં આગ લાગી ગઈ:
‘આજે વસંતપંચમી છે.’
અને વસંતપંચમી આવે
એટલે કવિ હોય
એણે ફરજિયાત કવિતા લખવી જ પડે.
શહેરજીવનની વિષમતા,
પ્રકૃતિ સાથેની વિસંવાદિતતા
અને સંવેદન સાથેની વિસંગતતા પર
કટાક્ષ ન કરો
ત્યાં સુધી કવિ તરીકેની તમારી સંવેદનશીલતા
સાબિત થતી નથી.
તમારું હૈયું જો સિમેન્ટ-કોંક્રિટનું
અને
ચેતાતંત્રમાં
નસોના સ્થાને આસ્ફાલ્ટની સડકો દોડતી ન હોય
તો
તમારે
ફ્લાવરવાઝમાં ગોઠવાયેલા ફૂલો કને જઈ પૂછવું જ રહ્યું
કે
તમને ખબર છે, આજે વસંતપંચમી છે ?
પણ
આ બધું
જો તમે મારી જેમ સાધનસંપન્ન કવિ હો
તો
વાતાનુકૂલિત સાઉન્ડપ્રુફ કમરામાં બેસીને
કાગળ ઉપર લખશો.
– વિવેક મનહર ટેલર
(૦૫-૦૨-૨૦૧૩, વસંતપંચમી)
*






















