
તમે વાતો કરો તો થોડું સારું લાગે…. પારડી, સુરત, ઓક્ટોબર ૨૦૨૫
‘પતિ-પત્ની ઔર વો’ની લડાઈ લગ્નસંસ્થાની સરજત સાથે જ કદાચ શરૂ થઈ ગઈ હશે. દુનિયાની કોઈ પણ પત્ની સોતનનો સ્વીકાર ન જ કરે… પણ હિંદી કવયિત્રી રશ્મિ અગ્નિહોત્રીની ‘પતિ કી પ્રેમિકા કે નામ’ વાંચી. એમાં એક પત્નીનો પોતાની સોતન તરફનો અલગ જ અભિગમ વાંચવામાં આવ્યો. એ રચનામાંથી આ રચના સ્ફુરી. પત્ની જે રીતે પતિની પ્રેમિકા વિશે વિચારતી હશે એ જ રીતે, સોતન પણ પ્રેમીની પત્ની વિશે કશુંક તો વિચારતી જ હશે ને… એ પ્રેમીને ત્યાગી તો શકતી નથી, પણ એની પત્ની સાથેના સંઘર્ષથી શું ખુશ રહી શકતી હશે? એ શું ઇચ્છતી હશે? એ સ્ત્રી પણ પુરુષને પ્રેમ કરે છે એટલે ભલે અસંભવ તો અસંભવ પણ સમાધાન નહીં ઝંખતી હોય?
આ વિષય પર ભાગ્યે જ કોઈએ લખ્યું હશે.. રચના વાંચીને પ્રતિભાવ અવશ્ય પાઠવજો…
મોટાબુન! પાય લાગુ, તમે દિલના દ્વાર ખોલો,
સાજણને ગમતું તમને ગમતું ન કેમ, બોલો?
તમે અગ્નિના સાત ફેરે,
અમે સમજણના પાંચ દેરે વર્યાં ને પામ્યાં સૈંયા
તમે તરબતર પ્રતિપળ
અમે વર્ષાની એક અટકળ પર જીવતા બપૈયા!
તમે સાગર અમે તો ટોયું, પછી શાને આ હડદોલો?
તમે દિલના દ્વાર ખોલો
તમે પારિજાત પામ્યા
એ મારી જાત કામ્યા તે મારામાં થોડું ખરતા,
એમાં આ શા ઉધામા?
અમે આમે છંઈ નનામા, પછી શીદ તમે ઝઘડતા?
ઝાકળ છીએ બે પળનું, શાને ગણો ફરફોલો?
તમે દિલના દ્વાર ખોલો
– વિવેક મનહર ટેલર
(૧૭-૦૮-૨૦૨૫)

વાતો જો થઈ શકે તો દિલે બોજ ન રહે… …પારડી, સુરત, ઓક્ટોબર ૨૦૨૫



























































































