
(પથ્થરો બોલે તો બોલાવી જુઓ….. …રાણીની વાવ, પાટણ, ડિસેમ્બર ૨૦૨૫)
[અમેરિકાથી કવયિત્રી સુશ્રી પન્ના નાયકનો સંદેશ આવ્યો કે એમની ભારતની આ વેળાની શિયાળુ મુલાકાત ટાંકણે અને અમેરિકા ગયા બાદ ફરી એકવાર પડી જવાના કારણે એમણે વ્હીલચેરમાં ફરવાની કમનસીબી પ્રાપ્ત થઈ છે. એમના જીવનસાથી શ્રી નટવર ગાંધીએ એક સૉનેટ લખીને એમને સધિયારો આપ્યો. મને વિચાર આવ્યો કે પન્ના નાયક જો સૉનેટ લખે તો શું લખે? બસ, એ વિચારની ફળશ્રુતિ એટલે આ સૉનેટ… પણ આપે એને કોઈ ઘટનાના પરિપ્રેક્ષ્યમાં નહીં, કવિતાની એરણ પર જ નાણવાનું છે… પ્રતિભાવ અવશ્ય પાઠવજો…]
*
(શિખરિણી-મંદાક્રાન્તા)
અકસ્માતે મારો પગ લપસતાં તૂટ્યું સઘળું-
ગયો થાપો તૂટી, પણ ફકત શું એ? નહીં નહીં…
ઘણાં સ્વપ્નો, આશા ભવતરણનાં પાંપણ મહીં
ભરીને રાખ્યાં’તાં, ખતમ થયું સૌ, ના બચ્યું કશું.
ગયાં વર્ષો એ સૌ સતત સુખમાં, મોજ કરતાં;
ઊંચાનીચા માર્ગે પણ જળ સમા બેઉ વહતાં
રહ્યાં સાથેસાથે પરસપરનો સ્નેહ લહતાં;
હવે પૈંડાવાળી ખુરશીવશ છું, રે વિવશતા!
નિહાળી બે બુંદો નયન મહીંથી ગાલ સરતી,
ધસી આવ્યો, બેઠો ઘૂંટણભર તું, વા અવગણી;
મને ઝાલી, લૂછી નયન, કહ્યું તેં, ચૂંટલી ખણી-
“નિરાશા? રે બુદ્ધુ! ચડતીપડતીથી તું ડરતી?
“આડો આવે ભગવન ભલે, દે ભલે કાંખઘોડી,
તોયે તોડી નહિ જ તૂટશે આપણી પ્રિય! જોડી!”
– વિવેક મનહર ટેલર
(૧૫-૧૮/૦૨/૨૦૨૬)
*

(ગીત ગાયા પથ્થરોને….. …રાણીની વાવ, પાટણ, ડિસેમ્બર ૨૦૨૫)












































































*







