![]()
(લોહીભીની સાંજ… …કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)
જીવતરના કૂવામાં કદી ના થઈ શક્યો ઉજાસ,
તારી ખબરનો નહોતો કોઈ ડોલમાં સમાસ.
છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?
રસ્તો, ગલી કે ઘર, કશે પણ ક્યાં છે સળવળાટ ?
નિષ્પ્રાણ શહેર છું હું અને તું છે મારો શ્વાસ.
પિંજરમાં આંખના હવે એક જ છે મનસૂબો –
તુજ આવણાંના પક્ષીનો ક્યારેક થાય ભાસ !
હું પૂર્ણિમાની રાતને સમજી શક્યો નહીં,
સમજ્યો, અમાસ જ્યારે પ્રવર્તાઈ બારેમાસ.
એક બીજ દર્દનું મહીં વાવ્યું હતું, કબૂલ!
એક છોડ પરથી આખી ફસલનો ન કાઢ ક્યાસ.
સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?
બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.
લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો,
લાગે છે આવી તું ને ઉપરથી હો આસપાસ.
નોખા કરી દો તો પછી કાવ્યોમાં પ્રાણ ક્યાં ?
શબ્દો અગર છે પારો તો છે અર્થ દેવદાસ.
જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.
– વિવેક મનહર ટેલર
(૧૩-૦૨-૨૦૦૬)