(બ્લૉગવિશ્વમાં ફરી ડોકિયું…. ….કાચિંડો, મે-૨૦૦૭)
શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.
મારું જ મારી સાથે વર્તન છે ઓરમાયું-
આ આટલા વરસમાં ખુદને ન ઓળખાયું ?
તારું સ્મરણ તો ઊંડે, ઊંડે દીધું’તું દાટી,
ગઝલોનું થઈને જંગલ રૂંવે-રૂંવે શું છાયું?
આખું જીવન આ મારું જીવાયું એ રીતે,બસ-
મારે જવું હતું ક્યાં ને ક્યાં જઈ ચડાયું?
આંસુથી ‘દઈ વિદાય જ પાછાં વળો’ એ ન્યાયે,
આંખોના પાદરેથી પાછાં વળી જવાયું.
યાયાવરોને જોવા સરવર લગી ગયા સૌ,
આવી ગયા સમૂળગા, સ-મૂળગું અવાયું?
પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.
-વિવેક મનહર ટેલર
લગભગ બે મહિના લાંબી રજા ભોગવીને આજે ફરી પોતાના ઘરે પાછો ફરી રહ્યો છું. ધાર્યું હતું કે આ અનિશ્ચિત આરામના અવધિમાં મારી જાતને ભીતરથી ખોતરીશ. મારી ગઝલોમાં જે હજી ખૂટે છે એને શોધવાની અને સુધારવાની કોશિશ કરીશ. નવી ગઝલની આબોહવા સમજવાનો અને શ્વસવાનો યત્ન કરીશ. આજે બે મહિનાના અંતે લાગે છે કે આમાનું કદાચ કશું થઈ શક્યું નથી. મારી જાતને ઓળખવાનું કે મારા સરનામે મારાથી પહોંચવાનું- કશું શક્ય બન્યું નથી. એટલે આ શોધ જારી રહેશે અને સમયની પગદંડી પર ક્યારેક મને મારા ઈચ્છેલા પગલાંની છાપ મળી જશે એવી આશામાં કપાયેલી પાંખ લઈને આ સફર પુનઃ આદરી રહ્યો છું ત્યારે આ સમયગાળામાં મારી “ખબર” લેતા રહેલા આપ્તજનોને કહેવા માટે ગળામાં એક લાગણીભર્યા ડૂમા સિવાય બીજું કાંઈ નથી. આ પ્રદીર્ઘગાળામાં પણ આ એક શ્વાસ કદાચ ભીતર કશું ખોતરી શક્યો નથી, એટલે જ એના નસીબમાં સતત પાછા આવતા રહેવાનું લખાયું હશે ને ! તો લો, આ આવ્યો પાછો…. મળતા રહીશું, ફરીથી શબ્દના રસ્તે… (હવેથી માત્ર દર શનિવારે, નવી અથવા જૂની કાવ્યકૃતિ સાથે!)