(કવિસંમેલન…. ….અમદાવાદ : ૨૫-૦૨-૨૦૦૭)
(કયું સર્ટીફિકેટ સાચું? … ….ચિનુ મોદી સાથે)
(ડાબેથી: AMA પ્રમુખ, હું, ચિનુ મોદી, કૃષ્ણ દવે, હર્ષ બ્રહ્મભટ્ટ, નિરંજન ભગત)
(ફોટોગ્રાફની ગુણવત્તા બદલ ક્ષમાયાચના)
અમદાવાદથી એક ફોન આવ્યો, ડૉ. અશોક પટેલનો… ‘અમદાવાદ મેડીકલ એસોસીએશનના ઉપક્રમે ગુજરાતભરના તબીબ-કવિઓનું એક કવિ સંમેલન યોજીએ છીએ. આપ આવશો?’ મારાથી સહજ પૂછાઈ ગયું: ‘ પણ આપને મારું નામ અને નંબર ક્યાંથી મળ્યા?’ ‘ડૉ. ઉર્વીશ વસાવડાએ તમારા માટે ભલામણ કરી છે’, જવાબ મળ્યો. પત્યું. 25 ફેબ્રુઆરી-રવિવારની સાંજે હું અમદાવાદના મેડીકલ એસોસીએશનના હૉલમાં હતો. છવ્વીસ તબીબ કવિઓ. તેર-તેરના બે સમૂહ. પહેલા સમૂહનો અંતિમ કવિ હું. સામે શ્રોતાગણમાં ચિનુ મોદી, નિરંજન ભગત, કૃષ્ણ દવે અને હર્ષ બ્રહ્મભટ્ટ જેવા નીવડેલા કવિઓ અને ખીચોખીચ સભાગૃહ. વચ્ચેના ગાળામાં લગભગ દોઢ દાયકો કવિતા છૂટી ગઈ હતી એટલે હંમેશા મંચની બીજી બાજુએ બેસીને તાળી પાડવાનું જ નસીબમાં રહેતું. તેર વર્ષ પહેલા આખરી મુશાયરામાં ભાગ લીધો હતો. આજે દોઢ દાયકા બાદ મંચની ઈચ્છેલી બાજુએ બેસવા મળ્યું હતું અને એ ય સુરતની બહાર… મંચ અને માઈકનો ડર સદનસીબે અગિયારમા ધોરણ પછી કદી લાગ્યો નથી… એટલે મારા સ્વપ્નને વાસ્તવની ભોંય પર પગ મૂકવાના મળેલા મોકાને પૂરતી સજાગતાથી ઝડપી લીધો… કૃતિઓમાં ખોવાઈને પછી હું ક્યારે જાગ્યો, ખબર જ ન પડી… એક અવિસ્મરણીય અનુભવથી જાણે માહ્યલો ભરાઈ ગયો. અંદર કોઈક ટકોરતું હતું, હજી તો પંથ ઘણો લાંબો અને વિકટ છે અને બહારથી કોઈ આશ્વસતું હતું, ભલે! શરૂઆત તો થઈ ને !
પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ,
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો!
– કવિસંમેલનમાં રજૂ કરેલી કૃતિઓને ક્રમસર રજૂ કરું છું:
(જે તે કૃતિ પર ક્લિક્ કરવાથી આખી રચના સુધી જઈ શકાશે)
સુરતમાં આવેલા પૂર ઉપર બે મુક્તકો
(શરૂઆતથી મારી શબ્દયાત્રાના સાક્ષી રહેલા મિત્રોને મારા રસ્તાના કિનારે ઊગતા જતા પથ્થરોનોય સાક્ષી ન બનાવું તો ન જ ગમે.)