ગુવારસીંગનો છોડ…


(કુદરતની કરામત…            …સાંગલા વેલી, હિમાચલ પ્રદેશ, નવે.-૨૦૦૭)

સાહ્યબો મારો ગુવારસીંગનો તે છોડ,
ગુવાર મને દીઠી ન ભાવે, લે બોલ !

એક-એક ડાળી પર ઝૂમખાં લચે,
આ મૂઈ એની પક્કડથી ક્યાંથી બચે ?
રોમ-રોમ ફાલે જે એનો શો તોડ ?
જ્યાં જઉં ત્યાં એ સામો જ આવે, લે બોલ !

શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,
સાસરામાં ક્યાં લગ તે ચાલે વરણાગી ?
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૯-૨૦૦૭)

ગોદડાંમાં શું ખોટું?


(……                   …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

મમ્મી  બોલી,  ઠંડી  આવી,  સ્વેટર  પહેરો  મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની   અંદર   હું   કેવો   મસ્તીથી  આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં  તો  છોટુ  થઈને   રહેશે   ખાલી  છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)

નજર્યુંની વાગી ગઈ ફાંસ…


(ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના….      …પુષ્કર, રાજસ્થાન, ૧૯૯૯)

ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ,
              એક-એક પગલાના અધ્ધર થ્યાં શ્વાસ

દલડાની પેટીમાં સાચવીને રાખેલા
                           ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
ગોપવેલી વારતા હરાઈ ગઈ પલકારે,
                      ચોરીનું કોને દઉં આળ?
અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.

છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
                                અને ફૂટ્યા છ કાન આખા મેળાને
લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
                                    મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.

ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
                                  ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે
                                       ‘વાંહે આવ્યો તું’નો ઢોલ.
મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૦૮)

ગઝલે સુરત

કોઈ પણ શહેરના હયાત તમામ ગઝલકારોને એક જ જગ્યાએ સમાવી લે એવો જાજરમાન મુશાયરો બે પૂંઠાની વચ્ચે કદાચ આ અગાઉ થયો નથી. ૨૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે સુરતના હયાત ૪૧ જેટલા ગઝલકારોની કુલ ૭૬ જેટલી રચનાઓને સમાવી લેતી પુસ્તિકા “ગઝલે સુરત”ના લોકાર્પણવિધિ નિમિત્તે યોજાયેલા કવિ સંમેલનમાં પુસ્તકમાં સ્થાન પામેલા મોટા ભાગના કવિઓએ પોતાની રચના જનસમુદાય સમક્ષ રજુ કરી હતી. કોઈ પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાના પુસ્તકમાં મારી ગઝલો પ્રગટ થવાનો આ મારો પ્રથમ અનુભવ હતો. આ પુસ્તકમાં પ્રગટ થયેલી મારી ગઝલો અહીં રજૂ કરી છે અને આ તમામ ગઝલકારોના ચુનંદા શેરનું સંકલન પણ આપ ‘લયસ્તરો’ ખાતે કડી-1 અને કડી-2 મુકામે માણી શકો છો…


(“ગઝલે સુરત”….            …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. 25)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563

.

*

.