July 2007

You are currently browsing the monthly archive for July 2007.


(સ્વયમ્ ની પ્હેલ-વ્હેલી સાઈકલ સવારી…..        ….૨૦-૦૭-૨૦૦૭)

મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

જીવન-મરણની તમે વાત લઈને બેઠા છો…
અને જીવો-મરો સ્વેચ્છા વગર, શું છૂટકો છે ?

ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?

ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?

-વિવેક મનહર ટેલર
(૧૪/૦૭/૨૦૦૭)

છંદ-વિધાન: લગાલગા લલગાગા લગાલગા ગાગા(લલગા)


(કોનાં પગલે…?          સુંવાલીના દરિયાકિનારે, એપ્રિલ,07)

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે ?

-આ પંક્તિ લખી ત્યારથી મેં જે છૂટ અહીં લીધી છે એ માન્ય ગણાય કે નહીંનું વાવાઝોડું મનમાં ફુંકાયા કરતું હતું. આ બ્લૉગ પર અને અન્ય બ્લૉગ પર આ સંદર્ભે વાત નીકળી અને મને વાત કરવાનું બહાનું મળ્યું. આ ગઝલનું છંદ-બંધારણ આ પ્રમાણે છે- ગાલગાગા ગાલગાગા ગાલગા. આ છંદ પ્રમાણે બીજી પંક્તિની તક્તી પહેલી નજરે આ પ્રમાણે થાય:

ગાલગા(લ)ગા ગાલગાગા ગાલગા.
બહુ જ સરળતાથી આ પંક્તિને “એથી લોહીઝાણ વચગાળો હશે?”-એમ લખીને હું દેખીતા છંદ-દોષમાંથી બચી શક્યો હોત. પણ મેં એમ નથી કર્યું. કેમ?

એજ પ્રમાણે આજ ગઝલનો એક બીજો શે’ર જોઈએ:

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

-અહીં પણ બીજી પંક્તિની દેખીતી તક્તી આ રીતે થશે:
ગાલગાગા (લ)ગાલગાગા ગાલગા.

હું જે રીતે છંદ શીખ્યો છું એ પ્રમાણે આ બંને છૂટ યોગ્ય છે. આ બંને પંક્તિમાં જ્યાં એક લઘુ વધારાનો લાગે છે ત્યાં તરત જ પછવાડે સ્વર આવે છે. પહેલા ઉદાહરણમાં ‘લોહીઝાણ’માં શબ્દાંતે આવતો વધારાનો લાગતો લઘુ ‘ણ’ એના પછીના શબ્દારંભે આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાય છે અને ણ+એ = ણે એવો એક ગુરુ બનાવે છે, જે છંદ-દોષ નિવારે છે. આજ પ્રમાણે બીજા ઉદાહરણમાં ‘દેહ’ શબ્દાંતે આવતો વધારાનો લાગતો લઘુ અક્ષર ‘હ’ એની પછીના શબ્દ ‘ઓર’ના શબ્દારંભે આવતા સ્વર ‘ઓ’ સાથે સંયોજાઈને હ+ઓ=હો એવો એક જ ગુરુ બનાવે છે જે પ્રથમ નજરે દેખાતા છંદ-દોષની શંકાને નિવારે છે.

પ્રશ્ન એ છે કે આ પ્રકારની છૂટ માન્ય છે ખરી? સાહિત્યના આકાશમાં મારું સ્થાન એક બિંદુથી વિશેષ કંઈ જ નથી ત્યારે મારા કહેવા માત્રથી આ છૂટ માન્ય બની જાય ખરી? તો શરૂ કરીએ એક પછી એક ઉદાહરણથી… હું દરેક ઉદાહરણને અલગ-અલગ રીતે સમજાવવાના બદલે કવિએ જ્યાં-જ્યાં આ પ્રકારે સ્વર સાથે સંધિની છૂટ લીધી હશે એ શબ્દના આખરી અક્ષરને અને એની સાથે જોડાતા સ્વરને ગાઢો કરી નીચે લીટી દોરીને માત્ર ઈશારો જ કરીશ જેથી બિનજરૂરી લંબાણ ટાળી શકાય:

या रब ! न वो समझे हैं, न समज़ेंगे मेरी बात,
दे और दिल उनको, जो न दे मुझको ज़बाँ और । (गालिब)

ये न थी हमारी किस्मत कि विसाले-यार होता,
अगर और जीते रहते यही इन्तज़ार होता ।
तेरे वादे पर जिये हम तो यह जान झूट जाना,
कि खुशी से मर न जाते अगर एतबार होता ।
तेरी नाजुकी से जाना कि बंधा था अहद बोदा,
कभी तू न तोड सकता अगर उस्तुवार होता ।
कहूं किससे मैं कि क्या है ? शबे-गम बुरी बला है,
मुझे क्या बुरा था मरना ? अगर एक बार होता । (गालिब)

हम कहां क़िस्मत आज़माने जाएं ?
तू ही जब खंजर-आज़मा न हुआ । (गालिब)

ज़लवा-ब-कद्र जर्फ़-ए-नज़र देखते रहे,
क्या देखतें हम उनको, मगर देखते रहे । (अज्ञात)

Read the rest of this entry »


(ઉત્તર પ્રવેશદ્વારની કમાન, બૌદ્ધ સ્તૂપ, સાંચી….         …નવેમ્બર, 2005)

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે ?

હું હજી નીચે છું બસ એ વાતથી
થાય છે સાબિત, ઉપરવાળો હશે !

સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

ઝાંઝવાના પગ લઈ સૌ દોડતાં -
ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે !

પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.

-વિવેક મનહર ટેલર


(બ્લૉગવિશ્વમાં ફરી ડોકિયું….               ….કાચિંડો, મે-૨૦૦૭)

શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

મારું જ મારી સાથે વર્તન છે ઓરમાયું-
આ આટલા વરસમાં ખુદને ન ઓળખાયું ?

તારું સ્મરણ તો ઊંડે, ઊંડે દીધું’તું દાટી,
ગઝલોનું થઈને જંગલ રૂંવે-રૂંવે શું છાયું?

આખું જીવન આ મારું જીવાયું એ રીતે,બસ-
મારે જવું હતું ક્યાં ને ક્યાં જઈ ચડાયું?

આંસુથી ‘દઈ વિદાય જ પાછાં વળો’ એ ન્યાયે,
આંખોના પાદરેથી પાછાં વળી જવાયું.

યાયાવરોને જોવા સરવર લગી ગયા સૌ,
આવી ગયા સમૂળગા, સ-મૂળગું અવાયું?

પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.

-વિવેક મનહર ટેલર

લગભગ બે મહિના લાંબી રજા ભોગવીને આજે ફરી પોતાના ઘરે પાછો ફરી રહ્યો છું. ધાર્યું હતું કે આ અનિશ્ચિત આરામના અવધિમાં મારી જાતને ભીતરથી ખોતરીશ. મારી ગઝલોમાં જે હજી ખૂટે છે એને શોધવાની અને સુધારવાની કોશિશ કરીશ. નવી ગઝલની આબોહવા સમજવાનો અને શ્વસવાનો યત્ન કરીશ. આજે બે મહિનાના અંતે લાગે છે કે આમાનું કદાચ કશું થઈ શક્યું નથી. મારી જાતને ઓળખવાનું કે મારા સરનામે મારાથી પહોંચવાનું- કશું શક્ય બન્યું નથી. એટલે આ શોધ જારી રહેશે અને સમયની પગદંડી પર ક્યારેક મને મારા ઈચ્છેલા પગલાંની છાપ મળી જશે એવી આશામાં કપાયેલી પાંખ લઈને આ સફર પુનઃ આદરી રહ્યો છું ત્યારે આ સમયગાળામાં મારી “ખબર” લેતા રહેલા આપ્તજનોને કહેવા માટે ગળામાં એક લાગણીભર્યા ડૂમા સિવાય બીજું કાંઈ નથી. આ પ્રદીર્ઘગાળામાં પણ આ એક શ્વાસ કદાચ ભીતર કશું ખોતરી શક્યો નથી, એટલે જ એના નસીબમાં સતત પાછા આવતા રહેવાનું લખાયું હશે ને ! તો લો, આ આવ્યો પાછો…. મળતા રહીશું, ફરીથી શબ્દના રસ્તે… (હવેથી માત્ર દર શનિવારે, નવી અથવા જૂની કાવ્યકૃતિ સાથે!)

« Older entries