ગુલમહોર અને ગીતકવિનો સંવાદ

ગુલમહોરની સાખે…. ….પૂણે, મે-૨૦૨૬

હાયે, આ તોર!
જોને! મોઢું ચડાવીને બેસી ગયો છે કેવો લાલઘૂમ થઈ ગુલમહોર!

બોલ્યો ગુલમ્હોર:
‘આ શું કે ગીતોમાં તારાં ખીલે છે બસ, ગરમાળા… ગરમાળા… ગરમાળા,
એકલપંડે જ જાણે સાહેબે જોયા કે વેઠ્યા ના હોય બધા ઉનાળા;
સૂરજ કે મોસમના નહીં, હોય જાણે સૌ તારી જ કલમના ઓશિયાળા,
એ રીતે ગીતોમાં એમને ન વાવ, મૂકી બાકી સૌ કોઈને રેઢિયાળાં,
અપાર આ કાવ્યસંસારે પ્રજાપતિ કવિ જ છે ને કે કોઈ ઓર?*
કરું શાને ન જોર?
કહે, મોઢું ફૂલાવીને બેસી ન જાય પછી શા માટે આ ગુલમહોર?’

‘ઓ રે ગુલમહોર,’
કહ્યું મેં: ‘ખીલ્યો છે તુંય કેવો સુંદર તો થાય શાને નાસીપાસ આમ? ’
પૂજે કોઈ શંકરને, દુર્ગાને કોઈ, તો કોઈને વહાલા ઘનશ્યામ;
હરકોઈના સધિયારા નોખા હોવાના, હોય નોખા હરએકના રામ,
તુંય હશે કોઈનો સધિયારો, કોઈનો પ્યારો, શીદ ખોય આમ હામ?
લે, આ કલમબાઈ હેઠે મૂક્યા ને હવે કહું છું, છે તુંય શિરમોર.
ઓછો કર શોર!
હવે એક આંખે આંજીશ હું ગરમાળો ને બીજી આંખે આંજીશ ગુલમહોર!!!’

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૫-૨૦૨૬)
(* अपारे काव्यसंसारे कविरेव प्रजापतिः। यथा वै रोचते विश्वं तथेदं परिवर्तते॥ – અગ્નિપુરાણ ૩૩૯/૧૦)

ye lo… yellow… …શનિવારવાડા, પૂણે, મે-૨૦૨૬

40 thoughts on “ગુલમહોર અને ગીતકવિનો સંવાદ

  1. સંવાદ ગીત ગમ્યું
    બંનેની ખાસિયત સરસ રીતે પ્રગટી છે અને બોલચાલની લહેકાની ભાષા પણ ગમી
    જય હો

    • @ કુમાર જૈમિનિ શાસ્ત્રી:

      સજગ સર્જકનો પ્રતિભાવ એટલે સિરપાવ.
      ખૂબ ખૂબ આભાર

  2. હવે એક આંખે આંજીશ હું ગરમાળો ને બીજી આંખે આંજીશ ગુલમહોર!!!’
    શું કલ્પન છે કવિ ભાઈ વાહ મોજ જ મોજ

    • @ દિલીપકુમાર ચાવડા:

      સમય ફાળવીને પ્રતિક્રિયા આપવા બદલ હૃદયપૂર્વક આભારી છું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *