બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

चलो चलें मितवा…. માધવપુર, સૌરાષ્ટ્ર, 2023

જીવનના જે વળાંકે આવીને ઊભો છું હું ત્યાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
ફગાવી દઈ બધા કિંતુ-પરંતુઓની વરણાગી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યા જે પણ મને રસ્તામાં એ હરએક પાસેથી વધારે નહીં તો ઓછું પણ સતત મેં લીધે રાખ્યું છે,
જીવનભર ભેગાં કીધાં એ બધાંયે પોટલાંમાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

કોઈએ ઈર્ષ્યા આપી છે, કોઈએ શંકા ચાંપી છે, કોઈએ દ્રોહ, શ્રદ્ધાભંગ કે અપમાન આપ્યા છે;
કશું નહિ છોડવાની લ્હાયમાં અંતે ગયો થાકી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યાં જે માન-કીર્તિ, સાચાં-ખોટાં રામ જાણે પણ, અહમ્ પાશેરથી વાધ્યો, થયો તે શેર-તોલો-મણ;
અખા! હલકાથી ભારીની એ તારી શીખને માની બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

વિતાવી છે ઘણી રાતો ઉઘાડી પાંપણો સાથે, કશું હાંસિલ થયું નહિ, બસ, કરચલીઓ પડી માથે;
ચિતાથી ભૂંડી ચિંતાને બનાવી શાથી મેં સાથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

હવે રહીરહીને સમજાયું રહ્યો છું ઠેરનો ઠેર જ, કશે પહોંચી શકાયું ક્યાં ઉપાડી મનમુટાવોને?
રહે ગજગ્રાહમાં જે વ્યસ્ત એ આગળ વધે ક્યાંથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’

તું બાવનબા’રો છે એ વાત લાગે છે હવે સાચી, મને પણ બાવને પહોંચ્યા પછી સાચી સમજ લાધી;
ભલે મોડી તો મોડી પણ સમજ જ્યારે ખરી આવી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

– વિવેક મનહર ટેલર
(૧૧/૧૬-૦૮-૨૦૨૩)

હવે આગળ વધું તો બસ….. …ગ્રે હેરોન, માધવપુર, સૌરાષ્ટૃ, 2023

38 thoughts on “બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

  1. હવે આગળ વધુ તો બસ.
    સહજ અને સુંદર રીતે રદીફ નિભાવ્યો.
    બહુ સરસ.

  2. ઓહો, પ્રલંબની ય પ્રલંબ “ગઝલ”. શાથી/સાથી અને ચિતા/ચિંતા એક જ મિસરામાં અદભુત રીતે ગોઠવાયાં છે.. નરી મોજ.👌💐

    • ખુબ જ સુંદર રીતે જીવનના ઉમદા અનુભવો ને શબ્દો ના વર્ણન થકી બંધ કિતાબ ને ઉઘાડી કરી દીધી.. કવિ શ્રી. વિવેક. ખુબ ખુબ અભિનંદન.. ખુબ સુંદર રચના 😍💓.. ઘનશ્યામ ગઢવી “અનહદ”(કવિરાજ)

    • ખુબ જ સુંદર રીતે જીવનના ઉમદા અનુભવો ને સુંદર શબ્દો ના વર્ણન થકી બંધ કિતાબ ને ઉઘાડી કરી દીધી.. કવિ શ્રી. વિવેક. ખુબ ખુબ અભિનંદન.. ખુબ સુંદર રચના 😍💓.. ઘનશ્યામ ગઢવી “અનહદ”(કવિરાજ)

  3. વાહ લાંબી બહરમાં સુંદર કામ થયું છે. લાંબી બહરમાં મોટાભાગે ‌ભરતીના શબ્દોને કારણે ગઝલ મોનોટોનસ થતી હોય છે પરંતુ તમે એનાથી પાર નીકળી શક્યા એનો આનંદ અને અભિનંદન.

  4. વાહ , લાંબો રદીફ ખૂબ સુંદર રીતે નીભાવ્યો . વળી દરેક શેરની આગવી શેરિયત સાથે … વાહ

  5. વિવેક મનહર ટેલરની આ રચના જીવનના ઉત્તરાર્ધે પ્રાપ્ત થયેલી આત્મજાગૃતિ અને આંતરિક પરિપક્વતાનું કાવ્યાત્મક સ્વીકારપત્ર છે. “બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!” જેવી પુનરુક્તિ સમગ્ર કાવ્યને કેન્દ્રીય ભાવ આપે છે. કવિ જીવનભર સંચિત થયેલા મનદુઃખો, અપમાન, ઈર્ષ્યા, અહંકાર, ચિંતાઓ અને મનમુટાવોના ભારને ઓળખીને તેને ત્યજી દેવાની વાત કરે છે. “ચિતાથી ભૂંડી ચિંતાને બનાવી શાથી મેં સાથી?” અને “અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી” જેવી પંક્તિઓ આત્મનિરીક્ષણની ઊંડી ક્ષણોને સ્પર્શે છે. અંતે કવિ સમતા, ક્ષમા અને સ્વીકારના માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. સરળ ભાષા, જીવનદર્શનથી ભરપૂર અનુભૂતિ અને સતત વહેતી લય આ કાવ્યને સહજ છતાં અસરકારક બનાવે છે.

    • @ Dr. Preeti Pujara-

      વાહ! લખ્યું સાર્થક થયું અનુભવાય એવો સરસ મજાનો પ્રતિભાવ પાઠવવા બદલ દિલથી આભારી છું…

      સમય ફાળવીને રચનાના મૂળ સુધી પહોંચ્યા એ ખૂબ ગમ્યું.

      આત્મજાગૃતિ અને આંતરિક પરિપક્વતાનું કાવ્યાત્મક સ્વીકારપત્ર – વાહ! આનંદ…

  6. પ્રલંબ લયના ગીતની જેમ આવી દીર્ઘ છંદોબદ્ધ ગઝલ પણ એક
    વિશેષ સજ્જતાને આહવાન આપે છે. બધા ગજગ્રાહ અંતે તો વિપરીત
    બુદ્ધિ કે વિપરીત માન્યતાના જ પરિણામ હોય છે એ હકીકત
    કાવ્યરૂપ ધરીને પ્રગટ થાય છે.
    ચીલાચાલુ વિષયથી અલગ થઈ
    તાજગીનો અનુભવ કરાવતી આ રચના કાવ્યાનંદના અનોખા આભમાં યાત્રા કરાવનાર છે .અભિનંદન. શુભેચ્છાઓ. ધન્યવાદ.

  7. What a masterpiece! You made the difficult art of letting go feel so simple and clear. This wisdom truly helps in every area of life.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *