ગુફા-શિલ્પની ઉક્તિ

પથ્થર બોલે છે… …એકડ્ડલ ગુફાઓ, વાયનાડ, કેરળ, 2023


*

લ્યા! પથ્થરમાં તે કઈં જીવન હોય?
ના હોય?
હોય..
આ જો, અમે શ્વસીએ જ છીએ ને પથ્થરમાં?
તમને નથી પડતી પણ
આઠ-દસ હજાર વરસ પહેલાં પેલા લોકોને આ ખબર હતી.
એ આદિમ લોકો ગુફાના આ પથ્થરોમાં જીવન જોઈ શક્યા હતા.
ધારદાર પથ્થર કે લાકડાં કે પછી ભગવાન જાણે, છીણીહથોડા પણ હોય એમની પાસે..
પાક્કું તો હવે આજે મને પણ યાદ નથી.
જે હોય તે,
પણ ગુફાની દીવાલોને કોતરી-કોતરીને એમણે અમને બોલતા કર્યા હતા.
એમના માટે અમે એમના કોઈક ભગવાનનું પ્રતીક હતા.
કયા તે તો હવે અમેય ભૂલી ગયા છીએ.
તમે લોકો શ્વાસમાં હવા ભરો છો, અમે સમય!
પ્રાણવાયુ અને સમય – આ બે વચ્ચે ફરક એટલો જ છે કે
પ્રાણવાયુના કિસ્સામાં વાયુ રહી જાય છે, પ્રાણ છૂટી જાય છે,
જ્યારે સમય આમ ભલે સતત વહેતો કેમ ન અનુભવાતો હોય,
રહે છે ત્યાંનો ત્યાં જ. સ્થિર. અચળ. અમારી જેમ જ. પથ્થર જ ગણી લ્યો ને.
હજારો વરસોથી અમે સમય શ્વસતા અહીં ઊભા છીએ.
ટાઢ-તાપ અને વાયુ-વરસાદની વચ્ચે.
દિવસભર સૂર્ય અમારી ચામડી બાળે
તે રાત્રે ચાંદો આવીને મલમ લગાવી જાય છે.
વરસાદ ભીંજવી જાય ત્યારે વાયુ શરીર લૂછી આપે.
યુગયુગોથી આમ જ.
તમને લાગશે કે અમે તો પથ્થર. અમને શો ફેર પડે?
પણ જુઓ તો, અમે સુંવાળા થયા છીએ.
થોડા-થોડા નાના-મોટા કણ અમે આ બધાને ખવડાવ્યા પણ છે.
આજકાલ તમે લોકો અમને મળવા આવો છો.
તમને લાગે છે કે તમે અમને જોઈ રહ્યા છો.
કયા ભગવાન ગણીને અમને કંડારાયા હતા
એ તો મેં કહ્યું એમ અમે ભૂલી ગયા છીએ.
એની જો કે જરૂર પણ નથી.
તમે ભગવાનને નહીં, ઇતિહાસ શોધવા આવ્યા છો.
અગત્યની વાત એ છે કે અમે પણ તમને જોઈ રહ્યા છીએ.
અમે તમારા દીકરાઓ અને એના દીકરાઓ અને એના દીકરાઓને પણ જોઈશું
જેમને તમે જોઈ શકવાના નથી.
અને તમે કહો છો કે અમે પથ્થર છીએ. અમારામાં જીવન નથી.
લ્યા! પથ્થરમાં શું જીવન ન હોય?
કહો તો…

– વિવેક મનહર ટેલર
(૨૩-૨૪/૦૩/૨૦૨૩)

*

વારસો… …એકડ્ડલ ગુફાઓ, વાયનાડ, કેરળ, 2023

10 thoughts on “ગુફા-શિલ્પની ઉક્તિ

  1. તમે ભગવાનને નહીં, ઈતિહાસ શોધવા આવ્યા છો.
    વાહ ખૂબ સરસ 👌👌

  2. કેવી વિડંબણા કે જે પથ્થર જોતા રહેવાના હજારો વર્ષ પછી પણ, તે આપણે જ નહીં જોવાના.👌

  3. અમે તમારા દીકરાઓ અને એના દીકરાઓ અને એના દીકરાઓને પણ જોઈશું
    જેમને તમે જોઈ શકવાના નથી.
    અદ્દભુત …. સરસ વાચા આપી પથ્થરોને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *