પન્ના નાયકે નેવુમા વરસે ન લખેલું સૉનેટ

(પથ્થરો બોલે તો બોલાવી જુઓ….. …રાણીની વાવ, પાટણ, ડિસેમ્બર ૨૦૨૫)

[અમેરિકાથી કવયિત્રી સુશ્રી પન્ના નાયકનો સંદેશ આવ્યો કે એમની ભારતની આ વેળાની શિયાળુ મુલાકાત ટાંકણે અને અમેરિકા ગયા બાદ ફરી એકવાર પડી જવાના કારણે એમણે વ્હીલચેરમાં ફરવાની કમનસીબી પ્રાપ્ત થઈ છે. એમના જીવનસાથી શ્રી નટવર ગાંધીએ એક સૉનેટ લખીને એમને સધિયારો આપ્યો. મને વિચાર આવ્યો કે પન્ના નાયક જો સૉનેટ લખે તો શું લખે? બસ, એ વિચારની ફળશ્રુતિ એટલે આ સૉનેટ… પણ આપે એને કોઈ ઘટનાના પરિપ્રેક્ષ્યમાં નહીં, કવિતાની એરણ પર જ નાણવાનું છે… પ્રતિભાવ અવશ્ય પાઠવજો…]

*

(શિખરિણી-મંદાક્રાન્તા)

અકસ્માતે મારો પગ લપસતાં તૂટ્યું સઘળું-
ગયો થાપો તૂટી, પણ ફકત શું એ? નહીં નહીં…
ઘણાં સ્વપ્નો, આશા ભવતરણનાં પાંપણ મહીં
ભરીને રાખ્યાં’તાં, ખતમ થયું સૌ, ના બચ્યું કશું.

ગયાં વર્ષો એ સૌ સતત સુખમાં, મોજ કરતાં;
ઊંચાનીચા માર્ગે પણ જળ સમા બેઉ વહતાં
રહ્યાં સાથેસાથે પરસપરનો સ્નેહ લહતાં;
હવે પૈંડાવાળી ખુરશીવશ છું, રે વિવશતા!

નિહાળી બે બુંદો નયન મહીંથી ગાલ સરતી,
ધસી આવ્યો, બેઠો ઘૂંટણભર તું, વા અવગણી;
મને ઝાલી, લૂછી નયન, કહ્યું તેં, ચૂંટલી ખણી-
“નિરાશા? રે બુદ્ધુ! ચડતીપડતીથી તું ડરતી?

“આડો આવે ભગવન ભલે, દે ભલે કાંખઘોડી,
જોડી રે’શે અતૂટ, શકશે વાળ સુદ્ધાં ન તોડી.”

– વિવેક મનહર ટેલર
(૧૫-૧૮/૦૨/૨૦૨૬)

*

(ગીત ગાયા પથ્થરોને….. …રાણીની વાવ, પાટણ, ડિસેમ્બર ૨૦૨૫)

23 thoughts on “પન્ના નાયકે નેવુમા વરસે ન લખેલું સૉનેટ

  1. શિખરિણી માં સર્જેલા આક્રંદ ને બદલાવી અદ્દલ ઉત્સાહ સાથે મંદાક્રાન્તા માં ફેરવ્યો… અદ્ભુત!

  2. વાહ દાંમ્પત્ય સ્નેહ ના ઊંડાણ ને ઝીલતું સુંદર સોનેટ

  3. @અનામી મિત્ર:

    કૃતિને બિરદાવવા બદલ દિલથી આભારી છું… પ્રતિભાવ સાથે આપનું નામ પણ લખ્યું હોત તો?

  4. ખૂબ જ સરસ, ભાવસભર રચના..
    આ સૉનેટમાં શબ્દો માત્ર પંક્તિ નથી રહેતા, પણ સ્નેહ અને અડગ વિશ્વાસનું જીવંત રૂપ બની જાય છે. પન્ના નાયકના મૌનમાંથી ઊગેલો આ અવાજ ભાવકના હૃદય સુધી સીધો પહોંચે છે. ખાસ કરીને અંતિમ પંક્તિઓમાં જીવનસાથીના સહારે વ્યક્ત થયેલો અડીખમ વિશ્વાસ મનને સ્પર્શી જાય છે. છંદ, ભાષા અને ભાવ—all together—અદ્ભુત સંયોજન.
    આવી સંવેદનશીલ રચના માટે હૃદયપૂર્વક અભિનંદન 🌸

    જાનકી અધ્યારુ

    • @જાનકી અધ્યારુ:

      સરસ મજાના હૃદયસ્પર્શી પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર… ભાવક રચનાના તળ સુધી પહોંચે એ કોઈ પણ સર્જક માટે વિશેષ પુરસ્કાર જ ગણાય… આભાર!

  5. you have beautifully shown that the greatest ‘medicine’ for a physical disability is the unwavering presence of a loved one.
    No tragedy can break the bond that love has built.

  6. મિત્ર!
    અન્યની લાગણીઓને અભિવ્યક્ત કરવાની ક્ષમતા આબેહૂબ છાપ ઊભી કરે છે અને સંવાદાત્મક રચનાશૈલી સોનેટને વધુ જીવંત બનાવે છે.

  7. મિત્ર!
    અન્યની લાગણીઓને અભિવ્યક્ત કરવાની ક્ષમતા આબેહૂબ છાપ ઊભી કરે છે અને સંવાદાત્મક રચનાશૈલી સોનેટને વધુ જીવંત બનાવે છે.

Leave a Reply to Meena Chheda Cancel reply

Your email address will not be published. Required fields are marked *