![]()
(કોનાં પગલે…? સુંવાલીના દરિયાકિનારે, એપ્રિલ,07)
ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે ?
-આ પંક્તિ લખી ત્યારથી મેં જે છૂટ અહીં લીધી છે એ માન્ય ગણાય કે નહીંનું વાવાઝોડું મનમાં ફુંકાયા કરતું હતું. આ બ્લૉગ પર અને અન્ય બ્લૉગ પર આ સંદર્ભે વાત નીકળી અને મને વાત કરવાનું બહાનું મળ્યું. આ ગઝલનું છંદ-બંધારણ આ પ્રમાણે છે- ગાલગાગા ગાલગાગા ગાલગા. આ છંદ પ્રમાણે બીજી પંક્તિની તક્તી પહેલી નજરે આ પ્રમાણે થાય:
ગાલગા(લ)ગા ગાલગાગા ગાલગા.
બહુ જ સરળતાથી આ પંક્તિને “એથી લોહીઝાણ વચગાળો હશે?”-એમ લખીને હું દેખીતા છંદ-દોષમાંથી બચી શક્યો હોત. પણ મેં એમ નથી કર્યું. કેમ?
એજ પ્રમાણે આજ ગઝલનો એક બીજો શે’ર જોઈએ:
વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?
-અહીં પણ બીજી પંક્તિની દેખીતી તક્તી આ રીતે થશે:
ગાલગાગા (લ)ગાલગાગા ગાલગા.
હું જે રીતે છંદ શીખ્યો છું એ પ્રમાણે આ બંને છૂટ યોગ્ય છે. આ બંને પંક્તિમાં જ્યાં એક લઘુ વધારાનો લાગે છે ત્યાં તરત જ પછવાડે સ્વર આવે છે. પહેલા ઉદાહરણમાં ‘લોહીઝાણ’માં શબ્દાંતે આવતો વધારાનો લાગતો લઘુ ‘ણ’ એના પછીના શબ્દારંભે આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાય છે અને ણ+એ = ણે એવો એક ગુરુ બનાવે છે, જે છંદ-દોષ નિવારે છે. આજ પ્રમાણે બીજા ઉદાહરણમાં ‘દેહ’ શબ્દાંતે આવતો વધારાનો લાગતો લઘુ અક્ષર ‘હ’ એની પછીના શબ્દ ‘ઓર’ના શબ્દારંભે આવતા સ્વર ‘ઓ’ સાથે સંયોજાઈને હ+ઓ=હો એવો એક જ ગુરુ બનાવે છે જે પ્રથમ નજરે દેખાતા છંદ-દોષની શંકાને નિવારે છે.
પ્રશ્ન એ છે કે આ પ્રકારની છૂટ માન્ય છે ખરી? સાહિત્યના આકાશમાં મારું સ્થાન એક બિંદુથી વિશેષ કંઈ જ નથી ત્યારે મારા કહેવા માત્રથી આ છૂટ માન્ય બની જાય ખરી? તો શરૂ કરીએ એક પછી એક ઉદાહરણથી… હું દરેક ઉદાહરણને અલગ-અલગ રીતે સમજાવવાના બદલે કવિએ જ્યાં-જ્યાં આ પ્રકારે સ્વર સાથે સંધિની છૂટ લીધી હશે એ શબ્દના આખરી અક્ષરને અને એની સાથે જોડાતા સ્વરને ગાઢો કરી નીચે લીટી દોરીને માત્ર ઈશારો જ કરીશ જેથી બિનજરૂરી લંબાણ ટાળી શકાય:
या रब ! न वो समझे हैं, न समज़ेंगे मेरी बात,
दे और दिल उनको, जो न दे मुझको ज़बाँ और । (गालिब)
ये न थी हमारी किस्मत कि विसाले-यार होता,
अगर और जीते रहते यही इन्तज़ार होता ।
तेरे वादे पर जिये हम तो यह जान झूट जाना,
कि खुशी से मर न जाते अगर एतबार होता ।
तेरी नाजुकी से जाना कि बंधा था अहद बोदा,
कभी तू न तोड सकता अगर उस्तुवार होता ।
कहूं किससे मैं कि क्या है ? शबे-गम बुरी बला है,
मुझे क्या बुरा था मरना ? अगर एक बार होता । (गालिब)
हम कहां क़िस्मत आज़माने जाएं ?
तू ही जब खंजर-आज़मा न हुआ । (गालिब)
ज़लवा-ब-कद्र जर्फ़-ए-नज़र देखते रहे,
क्या देखतें हम उनको, मगर देखते रहे । (अज्ञात)
हर आमिर तूल देना चाहता है,
मुकर्रर जुल्म की मीआद कर के । (परवीन शाकिर)
यही था चाँद और ईसको गवाह ठहरा कर,
जरा-सा याद तो कर तूने क्या कहा था मुझे ?
वो दिन भी आए की खुश्बू से मेरी आँख खुली,
और ईक रंग हकीकत में छू रहा था मुझे । (परवीन शाकिर)
रखी हुई है हर ईक घर के सहन में मैयत,
सो वक्फे वक्फे से जैसे सिसक रही है हवा । (परवीन शाकिर)
दस्तक तो कुछ ऐसी है कि दिल छूने लगी है,
ईस हबस मैं बारिस में झाँका भी तो देखुँ ।
अबतक जो सराब आये थे, अनजाने में आए,
पहचाने हुए रस्तों का धोखा भी तो देखुँ । (परवीन शाकिर)
गुज़र गए हैं बहुत दिन रफ़ाकत-ए-शब में,
ईक उम्र हो गई चहेरा वो चाँद सा देखें ।
बस एक रेत का जर्रा बचा था आँखो में,
अभी तलक जो मुसाफ़िर का रास्ता देखें ।
उसी से पूछे कोई दश्त की रफ़ाकतें-जाँ,
जब आँख खोले, पहाडों का सिलसिला देखें । (परवीन शाकिर)
ઉર્દૂને છોડી ગુજરાતીની મા-જણી ભાષા હિંદીની વાત કરીએ:
वो सलीबों के करीब आए तो हमको,
क़ायदे-क़ानून समझाने लगे है । (दुष्यन्तकुमार)
चलो, अब यादगारों की अँधेरी कोठरी खोलें,
कम-अज़-कम एक वो चेहरा तो पहचाना हुआ होगा । (दुष्यन्तकुमार)
खडे हुए थे अलावों की आँच लेने को,
सब अपनी-अपनी हथेली जलाके बैठ गए । (दुष्यन्तकुमार)
तुम को देखा तो ये खयाल आया,
ज़िंदगी धूप तुम घना साया । (अज्ञात)
ઉર્દૂ-હિંદીમાં તો આવા ઢગલોક ઉદાહરણ મળી આવે તેમ છે. કોઈ કહેશે કે ઉર્દૂ અને ગુજરાતી ભાષા અલગ છે. હું કહીશ કે આપણે જે ગઝલ લખીએ છીએ એ આપણે ત્યાં તો ઉર્દૂમાંથી જ ઉતરી આવી છે ને? જે છંદ આપણે વાપરીએ છીએ, એ પણ એ જ ભાષા પાસેથી લીધા છે ને? કાવ્યપ્રકાર ત્યાંનો, છંદ ત્યાંના, તો નિયમો કેમ ત્યાંના નહીં? માર્ગ ભલે ને આપણે આપણો નોખો ચાતરીએ, કોનાં પગલે ચાલી રહ્યાં છીએ એ શા માટે ભૂલી જઈએ? કોઈ કહેશે કે ઉર્દૂ અને ગુજરાતીની ઉચ્ચાર શૈલી અલગ છે. તો આ રહ્યા ગુજરાતી શાયરોના કલામ:
ઘણા વરસો પછી આવ્યા છો એનો એ પુરાવો છે,
જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી. (મરીઝ)
નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નથી શક્તો,
તારા ભણી જે મમતા લગાતાર હોય છે. (મરીઝ)
ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમયસર કહ્યા વિના. (મરીઝ)
કશું માંગી લે, એવો જ્યાં દુઆઓનો જવાબ આવે,
તો શું માંગે કે આંખોમાં હજારો ઈન્તિખાબ આવે.
સરળ પંથે ગતિ છે પણ મને લજ્જત નથી મળતી,
એ ભય છે કે કદાચ આગળ જતાં રસ્તા ખરાબ આવે. (મરીઝ) (આખી ગઝલના બધાજ કાફિયામાં આ છૂટ છે)
દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. (મરીઝ)
હવે કોઈ મિત્ર કહેશે કે મરીઝ તો ઉર્દૂ પરંપરાના શાયર હતા. તો ચાલો, થોડાક ઉદાહરણ ઉર્દૂ પરંપરાના ન ગણી શકાય એવા કવિઓ પાસેથી પણ મેળવી જોઈએ:
તું આ વિરહના દેશમાં રસ્તો ભૂલી જઈશ,
ઊઠ્યાં છે ઠેર-ઠેર અહીં તારા નિશાન રે. (જવાહર બક્ષી)
તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? (જવાહર બક્ષી)
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે. (રઈશ મનીઆર)
નક્કર જમીનથી આ પગ એવો ઠગાયો છે,
ધરતીની ગોદમાં છે છતાં પગ નમાયો છે.
આ ચાલચલગત આપણી એને પ્રતાપે છે,
છે ધન્ય એક પગ જે બીજાથી સવાયો છે. (રઈશ મનીઆર)
શાંત પાણી મળ્યાં, હાશકારો થયો,
ક્યાં ખબર, અધવચાળ એક ઘૂનો હતો! (અશ્વિન ચંદારાણા)
-વિવેક મનહર ટેલર
-
ઉર્દુ, હિન્દી, અને ગુજરાતી એમ ત્રણે ભાષાઓમાં ચુનંદા ઉદાહરણો આપી બહુજ સુંદર રીતે છૂટની સ્પષ્ટતા કરી છે આપે. આ પોસ્ટ ખૂબ માહિતીપ્રદ બની છે. આ સઘન લેખને થોડો વિસ્તૃત કરી ગુજરાતી ગઝલ્/કવિતાના પ્રમુખ માસિકમાં મોકલવાનું ભૂલતાં નહીં. ઉર્દુ ગઝલને આધાર લઇ ગુજરાતી ગઝલ તરક ગતિ કરતાં અનેક લોકો માટે આ માહિતી બહુ મૂલ્યવાન છે. આ વિગત પ્રમાણે આપની અગાઉની છૂટ છંદ-દોષ ન જ ગણાય. આની સાથે આપનું પઠન પણ જો મળે તો ભાવકને ગઝલના છંદો, એનું પઠન,અને છૂટનો પણ એક નક્કર પરિચય મળે. (નોંધઃ મેં જે સાંભળ્યું છે એ રીતે, ઉર્દુ જેવી છૂટ છતાં નખશિખ ગુજરાતી ગઝલના પઠનનું પ્રમાણ આદિલ સાહેબ છે.)
હું જે રીતે ગઝલને શીખ્યો છું એ રીતે ગઝલના શેર, કાફિયા, રદીફ વિગેરે એક કાવ્યનું માત્ર ફ્રેમવર્ક છે. મૂળે એ ગઝલનું ફોર્મ લઇ અવતરતું/ઓળખાતું કાવ્ય જ ગણવું. આ પ્રકારની ગઝલમાં સામાન્ય રીતે બે વિરોધી વાતથી ઉત્પન્ન થતી ચોટ આવશ્યક નથી. આ રીતે આપણા સંસ્કૃત વારસામાંથી મળેલાં અક્ષરમેળ છંદો અને જુના માત્રામેળ છંદોના કાઠા પર પાંગરેલી ગઝલ અને એમાં લેવાતી છૂટો વિષે આવી ઉપયોગી માહિતી ખાસ જોવા મળતી નથી. આ પ્રકારની ગઝલના જે બે-ચાર ગઝલના છંદો મને સમજાયા છે તે આ પ્રણાલી પ્રમાણે છે એટલે કદાચ મારી છૂટની વ્યાખ્યા ઉર્દુ જેટલી વ્યાપક નથી.
વિવેક ભાઇ તમે પાક્કા મરીઝની સ્કૂલના ગઝલકાર છો તો કદાચ હું શયદાથી લઇ મકરંદ દવે, ઘાયલ, અને રાજેન્દ્ર શુક્લની સ્કૂલનો વિદ્યાર્થીં છું. આવા ઉપક્રમોથી વાચકોને મજા તો પડશે જ પણ ગુજરાતી ગઝલના બંધારણ અને એના વૈવિધ્યની પણ જાણકારી મળશે.
-
વાહ મિત્ર… આજે ઘણા વખતે તમારા તરફથી છંદનો એક સરસ પાઠ ભણવા મળ્યો… મને તો ખરેખર અત્યંત આનંદ થઈ ગયો આ વાંચીને…! અને પંચમભાઈએ કહ્યું એમ આવી જાણકારી તો મારા જેવા નવા નિશાળીયાઓ માટે most IMP જેવી છે…
અને આ વખતે તો મને છંદનો આ પાઠ એકદમ કંથસ્થ થઈ ગયો…!! હવે ગઝલમાં જાણી જોઈને આવી છૂટો લેવાનો પ્રયોગ કરવા માટે મન લલચાઈ ગયું છે…!!ફરીથી ખૂબ ખૂબ આભાર વિવેક!!
(એક સૂચન: મહિનામાં કમ સે કમ એક-બે વાર આવો પાઠ ભણાવવાનું રાખો તો??)
-
ohh sir …that i here first time in my life….it so use ful…..for new kavi
may be all person wanna know something like this …and thx for it -
that also my request…એક સૂચન: મહિનામાં કમ સે કમ એક-બે વાર આવો પાઠ ભણાવવાનું રાખો તો??)
-
Nice study. Accept my compliments for spreading correct information.
-
વાહ!!!

14 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/167/trackback