મુંબઈની ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પર એક ગીત

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
વિશ્વાસ ખૂટ્યો કે શ્વાસ જ છૂટ્યો.

ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છાઓ કંઈ
સાંજનો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

પૂરી થશે શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
આ નાદાની છે કે બિમારી ?
મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

આતંકવાદીને ફાંસી આપો,
પણ પહેલાં અંદર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
શાને અલગ-અલગ પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

ડૉ.વિવેક મનહર ટેલર

આજથી આ બ્લૉગ ગઝલોનો બ્લૉગ ન બની રહેતાં મારા કાવ્યોનો બાગ બની રહેશે જ્યાં મારી ગઝલ, મુક્તક ઉપરાંત ગીત, અછાંદસ તથા હાઈકૂના વિવિધરંગી પુષ્પો અવારનવાર જોવા મળશે. ગીતોના છંદની બાબતમાં હજી હું બાળમંદિરમાં પ્રવેશ લેતો બાળક છું. આ ગીતના છંદમાં જે દોષ રહ્યાં છે એ બદલ અગાઉથી ક્ષમાયાચના. પ્રાસંગિક ગીત હોવાથી છંદસુધારણા સમય મળ્યેથી કરવાની ખાતરી પણ આપું છું. અને મુંબઈની પરાંની ટ્રેનોમાં સાત જુલાઈના રોજ થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટોની પાર્શ્વભૂ પર રચાયેલા આ ગીતની સાથે કોઈ ફોટોગ્રાફ ન જ હોઈ શકે એ પણ સમજી શકાય છે…

17 thoughts on “મુંબઈની ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પર એક ગીત

  1. 3rd para is too good.Touches the heart.
    “Inteezar,Kabhi na katham honewala”

    I dont have knowledge about poetic language but your thoughts regarding incidence in form of words touches.

  2. આતંકવાદીને ફાંસી આપો,
    પણ પહેલાં અંદર તો ઝાંકો;
    છે શરીર તો એક જ સૌના,
    શાને અલગ-અલગ પડછાયો?
    એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?

    સો આના સાચી વાત કરી છે..!! વાચતાં જ લાગે છે કે જાણે બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલાંઓનો આત્મા આ પોકારી રહ્યો છે.હૃદયમાં એક ઊંડો ઘા થઇ જાય છે.

    અને બીજી વાત…..તમારી સર્જક કળા વિશે….શબ્દો પણ મૌન થઇ જાય છે. કાવ્યજગતની આ નવી કર્મભૂમિના પ્રથમ પગથિયે
    આપને ખૂબ ખૂબ અભિનંદન અને શૂભેચ્છાઓ….

  3. “એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો
    તૂટ્યો!”કવિની લાગણીની પરાકષ્ટાનાં પૂર્ણ
    દર્શન આમાં થયાં.સમયસરની રચના છે.

  4. ભાઇ સરસ.
    તમારી લાગણી અને દુખ, બન્‍નેમાં સુવાસ સહભાગી છે. તે જ રાત્રીએ વહેલી તકે સુવાસ દ્વારા તેના વિચારો સમાચાર સાર ( http://www.samacharsar.blogspot.com )ઉપર & સુવાસ ચર્ચા મંચ (www.suvaas.my-forums.net )ઉપર પ્રગટ કરવામાં આવ્‍યા હતા. અલ્‍લાહ સૌને સદબુધ્ધિ આપે.

  5. પ્રિય વિવેકભાઈ,
    પરિસ્થિતીઓના લોહિયાળ આંદોલનો..સંઘાતો…પતનો વચ્ચેથી પણ કોઈક લાગણી શોધી એ વિશે લખવું–તમારાં હ્રદયની છલોછલ ભાવ-સભરતા માટે ભારોભાર અહોભાવ જાગે છે!
    તમારા બ્લોગ પર હવે તમારા ગીતો..મુક્તકો અને અછાંદસ રચનાઓ પણ વાંચવા મળશે એ જાણી આનંદ થયો..
    ધર્મેશ
    deegujju.blogspot.com

  6. કોઇ સ્વજન જ્યારે આપણી વચ્ચે થી જતુ રહે છે ત્યારે શબ્દો પણ મૌન થઇ જાય છે ,

    આ દુઃખદ ઘટના માં માર્યા ગયેલ ને ઇશ્વર સદ ગતી આપે અને તેઓના સ્વજનો ને હિમંત આપે એવી ઇશ્વર પાસે પાર્થના …

    સતાકીય અને રાજકીય રમતો પાછળ હમેશા નિર્દોષ માનવી જ પીડાય છે.

    ડૉ. સાહેબ ની રચના સરસ છે
    પૂરી થશે શું માંગ તમારી,
    નિર્દોષોને જાનથી મારી ?

  7. છે શરીર તો એક જ સૌના,
    શાને અલગ-અલગ પડછાયો?

    કેટલી સત્ય વાત આપે સચોટ રીતે રજૂ કરી.
    ખરેખર સુંદર કાવ્ય. વિષયને બરાબર પકડી રાખ્યો છે. ઉત્તમ નિરૂપણ.

    ખૂબ ખૂબ ધન્યવાદ.

  8. વિવેકભાઈ,
    વેદના-લાચારી,અને ભય મેં નજરો નજર ખાર સ્ટેશન પર જોયા છે.જે જીંદગી હમણા છે, તે બે ઘડી માં હતી થઈ ગઈ.
    પણ મુંબઈ ની માણસાઈ ને લાખો સલામો.
    ૧૯૯૩ ના બોમ્બ ધડાકા વખતે લખાયેલ પંક્તિ યાદ આવી ગઈ.

    કે યાદો ખપે ના,દુવાની-ભજન ની
    ને યાદો ખપે ના ધુંવાની-કતલની
    કે પ્રકાશો પ્રહરના,તો ભૂલી જવાશે;
    પણ ભૂલાશે ના અગન રાત કહરની.

    પરમ કૃપાળુ પર્માત્મા સૌ દિવંગતોને ચીર શાંતી અર્પે, એજ પ્રાથના.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા.

  9. DEAR VIVEKBHAI,
    SARA READER CHHO, PARANTU SARA SARJAK PAN CHHO E AAJE KHABAR PADI,ANE KHUB AANAND THAYO.
    ABHINANDAN.

  10. Dear Vivekbhai,

    Tamari kavita on the mumbai bomb upar ni ghani saari ane sensitive chhe. I am so happy to learn that your site was number one in India.

    With best wishes and congratulations,

    Dinesh O. Shah, Professor of Chemical Engg and Anesthesiology,
    University of Florida, Gainesville,Florida, USA 32611
    E-Mail:
    dineshoshah@yahoo.com

  11. પૂરી થશે શું માંગ તમારી,
    નિર્દોષોને જાનથી મારી ?
    મોત છે શું ઈલાજ જીવનનો?
    આ નાદાની છે કે બિમારી ?
    મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
    જીવતો જાગતો માણસ ફૂટ્યો

    Vivek ji, tamari aa kavita ma khoob j dard samavelu chhe. uper ni lines ma tame aaj ni duniya ni adham krutyo ni sachi vedna lakhi chhe. Shoon ava badha krutyo karvathi koi ni maang puri thavani chhe? aa babat per jo darek jan vichar kare to sunder samaj ni rachna tai sake

  12. આખી રચના ખૂબ જ સુંદર …….

    દર્દ બાખૂબી ઊતરી આવ્યું છે અને
    જાણે નજરોનજર પ્લેટ્ફોર્મ પર બૉંબકાંડ
    જોઈને આવી તેવું માહોલ રચાઈ ગયું મનમાં……!!

    શબ્દોની આ ‘ઘટના’ માટે
    અભિનંદન આપવાનું મન તો થાય છે
    પણ જાણે મલાજો નહિં જળવાય ………..’ઘટના’નો ! !

  13. ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
    જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
    આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
    ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
    માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
    જીવતો જાગતો માણસ ફૂટ્યો.

    ખરેખર માણસનાં જીવનનું તો જાણે કોઈ મુલ્ય જ નથી. વાંચીને આખોં ભીની થઈ ગઈ.

Leave a Reply to અમિત પિસાવાડિયા Cancel reply

Your email address will not be published. Required fields are marked *