આપની ગઝલોમાં શું લિકેજ છે ?



*
આ ગઝલ લખવાનાં કારણ બે જ છે,*
આપ સાથે હો ને ના હો, એ જ છે.

આંખના ખૂણે હજીયે સહેજ છે,*
ભેજ છે કે છેલ્લું છેલ્લું તેજ છે ?

જે છે એ ખુલ્લું છે ને સામે જ છે,
પ્રેમ? હા, અસ્તિત્વમાં આમેજ છે.

જિંદગી સામે પડેલી સેજ છે,
પણ કવિ છું, ઊંઘથી પરહેજ છે.

કેટલી રાતો છે મારી એમાં કેદ-
સામે જે કાગળ, કલમ ને મેજ છે

આપ જાણો આપને છે કે નહીં,
પણ જો અમને પ્રેમ છે તો છે જ છે.

આ જે એ આપે છે, શું ફોકટમાં? ના !
જિંદગી લાગો તો એનો લે જ છે.

ડાઘ મૂક્યા વિના ઊડી જાય ઓસ,
વસવસો ફૂલનેય એનો રહે જ છે.

ભેજ, ચિનુજી! ફૂટ્યો મારામાં કેમ ?
આપની ગઝલોમાં શું લિકેજ છે ?

– વિવેક મનહર ટેલર
(૧૩-૦૯-૨૦૨૦)

(આમેજ- સામેલ; લાગો – વેરો)

(પુણ્યસ્મરણ: ચિનુ મોદી – આ ગઝલ લખવાનું કારણ એ જ છે, આંખને ખૂણે હજીયે ભેજ છે.)

કવિશ્રી ચિનુ મોદી મારા કેમેરામાંથી… …અમદાવાદ, ૨૦૧૦

6 thoughts on “આપની ગઝલોમાં શું લિકેજ છે ?

  1. ભેજ, ચિનુજી! ફૂટ્યો મારામાં કેમ ?
    આપની ગઝલોમાં શું લિકેજ છે ?
    – વિવેક મનહર ટેલર – Aahaa… 🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *