રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.
લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.
બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –
કોઈ કોઈને હવે ભજશે નહીં.
રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.
આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.
ડૉ.વિવેક મનહર ટેલર
છેલ્લા બે દિવસથી રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સંસ્કારનગરી વડોદરામાં અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી.

2 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/40/trackback/
May 3, 2006 at 11:42 pm
Sana Sheth
Well said doctor,hope your ghazal can chage one person who are fighting.
Last 2 lines are very good.I liked that very much.
May 5, 2006 at 7:53 pm
Suresh
બહુ જ સુંદર . નેટ ઉપર ટાઇમ્સ ઓફ ઇન્ડીયા ઉપર વડોદરાના આ સમાચાર વાંચતાં મનમાં આવા જ વિચાર આવ્યા હતા. ત્યાં તમારી આ સુંદર ગઝલે એ વિછરોને પુષ્ટી આપી.
તમારા શબ્દોમાં જાદુ છે.ભગ્વાન તમારી પાસે આવું સત્ય વધારે ને વધારે લખાવે. આ સમજ સામાન્ય માનવો સુધી ક્યારે પહોંચશે?