ઇશ્વર વિશે એક કવિતા


(મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી…     …. ઈલોરા, ૨૭-૧૦-૨૦૧૧)

*

આંબાના ઝાડને અઢેલીને
હું કવિતા લખવા બેઠો છું.
મારે આજે ઇશ્વરની કવિતા કરવી છે
પણ મને ઇશ્વર ક્યાંય નજરે જ ચડતો નથી.
કૃષ્ણ?
એણે સગા મામાને માર્યા અને મામાના સગાંઓને પણ.
એણે ધાર્યું હોત તો એ દુર્યોધનને સીધો કરી શક્યા હોત
પણ એણે લાખોના લોહી વહાવડાવ્યા.
રામ?
સાવ કાચા કાનના.
જેણે એના માટે બધું ત્યાગ્યું, એણે એને જ ત્યાગી દીધી.
બબ્બેવાર.
રાવણે એની પત્ની ઉપાડી તો એણે એને જ ઉપાડી લીધો.
એક પત્ની માટે કંઈ કેટલાય રીંછ-વાનર-માનવનો ભોગ.
શીતળામાતા?
સાવ આંધળા.
ચાલુ ચૂલો દેખાયો નહીં ?
પોતે દાઝે એમાં કોઈની કૂખ બાળવાની?
ઇન્દ્ર ?
ઇર્ષ્યાળુ.
મહાકાળી ?
ડરામણા.
બ્રહ્મા ?
ડરપોક.
વિષ્ણુ ?
સળીખોર.
શંકર ?
અવિચારી.
કેટલાની વાત કરું?
કોઈએ ધર્મના નામે તો કોઈએ કર્મના નામે…
કોઈએ પાપ સામે તો કોઈએ આપ સામે…
બધા જ માટીપગા….
ઇશ્વર ક્યાં ?
પણ મારી પાસે આ બધુ માંડીને કહેવાનો સમય જ નથી.
હું તો બળબળતા તડકામાં
આંબાના છાંયડામાં
કવિતા કરવા બેઠો છું.
મારે નથી ધર્મગ્રંથ લખવાનો કે નહીં ઇતિહાસ.
આગળ શું લખું એ વિચારું છું તેવામાં જ
નાગાં-પૂગાં છોકરાંવનું એક ટોળું ધસી આવ્યું
અને આંબે પથ્થર વરસ્યા
ને
ધરતી પર કેરી.
એક નાગૂડિયો સાવ મારી પાસે આવી ઊભો,
કેરીથી ચિતરાયેલા એના મોઢાનું બચ્ બચ્
અને આંખોમાં સ્મિત લઈને !
મેં ડોક ઊંચકીને આંબા સામે જોયું
કાગળ ગડી કરીને ખિસ્સામાં મૂક્યો.
અને કવિતા લખવી બંધ કરી
કેમ કે એ પૂરી થઈ ગઈ હતી.

-વિવેક મનહર ટેલર
(૦૮-૦૪-૨૦૧૨)

*


(મેં તો ઝાંકીને જોયું જરા ભીતર…     ….ઈલોરાથી સુરતના રસ્તે, ૨૭-૧૦-૧૧)

38 thoughts on “ઇશ્વર વિશે એક કવિતા

  1. એક નાગૂડિયો સાવ મારી પાસે આવી ઊભો,
    કેરીથી ચિતરાયેલા એના મોઢાનું બચ્ બચ્
    અને આંખોમાં સ્મિત લઈને !
    મેં ડોક ઊંચકીને આંબા સામે જોયું
    કાગળ ગડી કરીને ખિસ્સામાં મૂક્યો.
    અને કવિતા લખવી બંધ કરી
    કેમ કે એ પૂરી થઈ ગઈ હતી.

    Hats off……yaar.
    Just supppperb……………….!

  2. ખૂબ સ રસ ભાવવાહી રચના
    ધરતી પર કેરી.
    એક નાગૂડિયો સાવ મારી પાસે આવી ઊભો,
    કેરીથી ચિતરાયેલા એના મોઢાનું બચ્ બચ્
    અને આંખોમાં સ્મિત લઈને !

    વાહ્

  3. સ-રસ કવિતા…

    જો કે, મને એમ લાગે છે કે છેલ્લા બે વાક્યોની ગેરહાજરીમાં ‘કવિતા’ કદાચ વધુ ખીલે છે…

  4. ઈશ્વરને આલેખવાની સરળ પ્રક્રિયા હમેશાં નેગેટીવ જ શા માટે હોય છે? આપણે તેનું સર્જન હોઈએ તો આ બધી વિભાવના આપણી અંદર ઝાંકીને જ પૂછીએ તો કેવું?

  5. સાયન્સ અને લૉ હંમેશા પુરાવા માંગે છે પણ દુધમાં સાકર નો પુરાવો ચાખવાથી અથવા નાંખતા જોવાથી થાય છે. ડૉકટર સાહેબ તમે તો હ્ર્દયના ડૉકટર છો ને કવિ પણ છો..દ્વંદયુધ્ધ મનુષ્ય ના મનમાં હોય છે ને ઇશ્વર પુરાવા દેતો રહે છે દેખાયા વગર..!! તમારી કવિતા ખુબ ગમી.
    યે ધરતી હૈ ઇન્સાંનો કી કુછ ઔર નહીં ઇન્સાંન હૈ હમ..એક દિલ કે દો અરમાન હૈ હમ…બરાબરને વિવેકભાઇ? દરરોજ નવી વાનગીની જેમ તમારી કવિતા પિરસતા રહો.

  6. અતિ સુંદર ,આજના માનવી ની મનોવ્થા છે .ક્યાં જવું ???છેલી બે પંક્તિ ના હોત તો ઉત્મોતમ હોત !!

  7. વિવેકભાઈ, તમારી કવિતાઓ વાચી, ગમી, સાયબર સફર દ્વારા તમારો પરિચય થયો. ખુબ સરસ લાખો છો. સુભેચ્છા ઓ સાથે.

    -હિતેશ પંડ્યા

  8. સુંદર વાત. સૌથી પ્રથમ તો એક પુરુષની કલમે બ્રહ્મા,વિષ્ણુ,મહેશ્,રામ,કૃષ્ણ,ઇન્દ્ર વગેરે પુરુષ-ઇશ્વરની સાચી વાત ( સારી નહિ તેવી ) લખવા માટે અભિનંદન ! શીતળા મા અને મહાકાળીની વાતમાં પણ્ એટલી જ સચ્ચાઈ ! અને છેવટે તો ઇશ્વરની ઝાંખી નિર્દોષ બાળકના સ્મિતમાં જ સિધ્ધ કરી..એમ લાગે છે કે,તમે ડોકટર,કવિ, કે એક સારા પતિ હશો પણ સૌથી વધારે તો એક સાચા પિતા છો.સ્વયંને અભિનંદન..

  9. ખૂબ સુંદર રીતે ભગવાન વિષે લખ્યું છે.

    ‘બાળક’ એ પ્રભુની પ્રસાદી છે. જે હંમેશા પ્રિય હોય છે.

  10. Nice and touchy,god can be found in every living molecule of this universe one must have the eyesight to recognise this truth.

  11. કવિતા ભાવકે અનુભવવાની વસ્તુ છે. એ લખાઈ જાય પછી કવિએ એમાં માથું મારવાનું ન હોય. પણ કેટલાક મિત્રોને બાળકના સ્મિતમાં ઇશ્વર દેખાયો છે… એ તો છે પણ ખરો ઇશ્વર જે મને મળ્યો છે એ તો સાક્ષાત્ વૃક્ષ છે… બધા જ ભગવાને કોઈને કોઈ કારણોસર માટીપગા માનવની જેમ સામાના દુષ્કૃત્યોનો બદલો લીધો… વૃક્ષના ગુણધર્મોની યાદી ખૂબ લાંબી છે પણ એ મારી કવિતાનો વિષય નથી… અહીં વૃક્ષનો એક જ ગુણધર્મ ઇશ્વરના એક જ માનવગુણની સામે juxtapositionમાં મૂક્યો છે… વૃક્ષ જ પથ્થરના ઘા મળે તો સામે ફળ આપી શકે છે !

    કવિ ઊંચે આંબા તરફ જુએ છે અને કવિતા પૂરી થાય છે…

  12. પરોપકારનો બદલો ઉપકારથી આપનારા વૃક્ષના પ્રતીક દ્વારા માણસ અને ઈશ્વર બંન્નેનો બરાબર ઉધડો લેતી આ રચના સરસ, હૃદયસ્પર્શી છે. અભિનંદન વિવેકભાઈ.

  13. shu kahu?? Jene samjvaani koi akkal nahoti… had no knowledge when to eat and how to ask for food when hungry, had no idea where to go for bathroom/toilet, had no idea how to go to sleep, I mean from each and every angle we look, as a human we were so helpless, and today when we reach at 6′ ht from 20″, it is just ‘cus of other’s mercy! KOI NI DAYA PAR MOTO THANAR MAANAVI, jene jara pan budhhi nahoti e maaanvi aaje ene budhhi aapnar bhagawan ne j puchhe che ke WHERE IS GOD? waah re bhagwan waah! Jene te banavyo, nana thi moto karyo e maanvi aaje tari j bhulo kadhe che!!
    All the doctors know very well how precisely our human boy is made, everything is just very well balanced, what an intelligence the Creator must have! we just DISCOVERED the numbers that blood sugar or blood pressure should be from this to this range… Who decided this? Who made this LAWS? Do we ever think? and we just find his mistakes!!
    Feel so sad!
    BTW, Sitaji never had any complains for his husband RAM as she knew what he did is what a KING must do. He didn’t take such decisions as a husband. But we are Sitaji’s very (Loyal??) lawyers!

  14. કોઇ જ શબ્દો નથી સુઝતા લખવા માટે……
    ખરેખર અતી સુંદર !
    તમારી કલ્પનાશક્તિને લાખ લાખ સલામ…!
    બસ… લગે રહો… વિવેકભાઇ…આભાર…!

  15. વિવેકભાઈ,
    ભાવ છે તો ભક્તિ છે. જેને બધામાં ઈશ્વર દેખાય તેના હ્રદયમાં ઈશ્વર છે તેમ સમજું છું કોઈ રાજા કે લોકસેવક શું અને શા માટે કરે છે તે ના સમજાય તેથી તે ખોટું કરે છે તેમ કેમ કહી શકાય? પ્રેમ અને મોહની જેમ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. કોઈને રામમાં ભગવાન દેખાય તો તે તેનો પોતાનો ભાવ છે રાજારામ પોતે પણ એવો દાવો નહી કરતા હોય. રાજા તરીકેના એના કર્તવ્ય અને ત્યારના સમાજથી અપરિચિત આપણે તો એની વાર્તા અને કવિતા
    લખનારા લેખકોને કારણે જ એમને પૂજીએ છીએ. આવા સાહિત્યકારોએ જ એમને ભગવાનનું બિરૂદ પણ આપ્યુ એમા કહેવામાં ખોટું જણાતું નથી. પછી તો એમના નામે જે ધતિંગ ચાલે તે એ પોતે હાજર અને હયાત હોય તો ય ના ચલાવે તેવા ચાલે. રામના નામે પથરા તર્યા અને રામે નાખ્યા તે ડૂબ્યા તે વાતને ય સાહિત્યકારોએ કેવી સરસ રીતે પલટી કે રામ છોડી દે તે તો ડૂબે જ ને? ખરેખર પથ્થરના પ્રકારના વિજ્ઞાન સાથે ભાવવિશ્વમાં રાચનારને ક્યાં નિસ્બત હોય છે? બાય ધ વે, કવિતા ક્યારેય પૂરી થાય ખરી? જો એને જીવન ગણીએ તો તે સતત વહેશે આપના દિલમાંથી અને બીજા અનેકના હૈયામાંથી પણ….

  16. મને તો વાચકોના પ્રતિભાવ વાંચવાની મઝા આવી.
    કાવ્યનો ભાવ બહુ સુંદર છે.

  17. ક્ય બાત હૈ

    ઘણા લાંબા સમય પછી સાદ્યંત સુન્દર અછાંદસ કવિતા વાન્ચવા મળી

  18. વિવેક
    તારી અછાંદસ કવિતા વાંચી ને મને પણ નીચે ની અછાંદસ કવિતા લખવા ની પ્રેરણા મળી.

    કૃષ્ણ એ જે બધા ને માર્યા તેમાંના કોઈ તારા સગા થતા લાગે છે.
    સીતા માતા એ તને તેમના વકીલ બનવાની કોઈ ફી આપી લાગે છે.

    તું કહે છે કે “… મારે નથી ધર્મગ્રંથ લખવાનો કે નહીં ઇતિહાસ ..” !
    ધર્મગ્રંથ કે ઇતિહાસ લખવા ની તારી ક્ષમતા જ નથી.
    આ તો ભિખારી કહે કે “મને મહેલ માં રેહવા ની ઈચ્છા નથી” તેવી વાત થઇ !
    ચાર જણા વાહ વાહ કરે એટલે તું તારી જાત ને કવિ માનવા માંડ્યો !
    કવિ એટલે કે “તેવો મનુષ્ય કે જે કોઈ વિષય નો ઊંડાણ પૂર્વક વિચાર કરવા સમર્થ હોય”
    આ કવિતા વાંચી મને તારી તે ક્ષમતા પર શંકા થાય છે.
    મને તારા છીછરા વિચારો વાંચી તારા પર અને તારી આ કવિતા ના વખાણ કરનારા પર દયા આવે છે.

    આ છીછરા પણું દૂર કરવા તારે આપણા ધર્મગ્રંથ અને ઇતિહાસ નો અભ્યાસ ઊંડાણ થી કરવો રહ્યો.
    તે ના થાય તો આ વિષયો થી તું દૂર રહે તે તારા “કવિ પદ” માટે સારું રહેશે.

  19. Vivekbhai,

    Aaam to tamari badhi j poems mane game chhe and hu vanchto hou chhu.
    Aa kavita sari chhe pan ena words Aankh ma mota Kana ni mafak khunche chhe. Kavita lakhva mate bhagwan ne sha mate kharab chitarva pade chhe???? Kyarey duniya ma kyan sambhlyu ke Hindu sivay na bija koi pan dharma na loko e emna bhagwan k ishtadev vishe kharab bolya hoy k lakhyu hoy? Sha mate Hindu dharma ma j aavu????
    Bhagwan RAM : Maryada Purushottam, He knew everything but wants to show the wotld what mistakes humun beings do and what are the effects of these mistakes. He did all the experiments on himself. By doing all these he wants to show the world that plz dont do aal these. Ane ha kadach tame Ramayan vanchi hashe, Ram jyare ladai karva mate Vanaro & rinchh ni sena banave chhe tyare j te ena shu parinam aavshe te kahe chhe pan badha ne Bhagwan Ram par vishvas hato ne emna mate pota na pran aapva taiyar hata.
    Bhagwan Krishna : Shu emane ena mama ne marta pahela sudharva ni tak nahoti aapi? Shu Kansh ne maryo te yougya nahotu? Jo nahotu to aaj na Tererists same sha mate aatlo virodh?
    Kadach Mahabharat pan tame vanchyu hashe???? Duryodhan ne samajava ni vaat kone kari hati? ene samajavava mate kon gayu hatu? Ane jo ene maryo te yogya nahotu to aaj na Saddam ke Gaddfi same sha mate aatlo virodh????
    Tame lakhela badhaj Bhagwan k mataji tatha e sivay na pan badha j bhagwan & mataji na sandarbha ma aaj drashtikon thi vichari juo……. Darek karela karma ni andar manava jat ke duniya ni bhalai j raheli chhe.
    Pan Hindu o ni ek aaj vaat bahu halki chhe ….. prasiddhi mate pota na dharma k bhagwan mate halku bolo / lakho bas duniyabhar mathi wah wah karva wala mali jashe ….. pan shu aa wah wah yogya chhe??????
    upar je koi loko e tamari wah wahi kari chhe te ka to khoti chhe k te darek vyakti ni vichrva ni rit khoti chhe evu maru manvu chhe…. hu kadach khoto hoi shaku chhu pan eno mane vandho nathi….
    Jay Shree Ram ….. Har Har Mahadev ….. Jay Shree Krishna

  20. પ્રિય ચંદ્રેશ,

    તારા સ્પષ્ટ અભિપ્રાય બદલ આભાર !

    સદીઓ થઈ ગઈ પણ ઇશ્વર વિશે સંસારમાં હજી એકમત સાધી શકાયો નથી અને સાધી શકશે પણ નહીં કેમકે એના હોવા-ન હોવાનો પ્રશ્ન જ સદાકાળ અનુત્તર રહેવા સર્જાયો છે. દરેકનો ઇશ્વર અલગ છે. મારો ઇશ્વર માત્ર ને માત્ર મારા દર્દી છે, બસ!

    બધાના તારા વિશેના ખયાલ નોખા છે,
    જવાબ નોખા છે સહુના, સવાલ નોખા છે !

    રહી વાત ક્ષમતાની… ઇતિહાસ અને ધર્મગ્રંથ લખવાની વાત આ કવિતામાં વ્યંજના તરીકે આવે છે, અભિધા તરીકે નહીં…

    તારી અછાંદસ “કવિતા” વાંચવાની મજા આવી… મારો તો આખો દિવસ પ્રફુલ્લિત થઈ ગયો… 🙂

  21. vy gud poem. god may or may not be existing, but if he is existing, he is certainly there in innocent children.

  22. નોન સેન્સ કવિતા છે. ગીતા વાંચો તો ઈશ્વરક્યા છે ખબર પડસે. Ishwar Tari andar chhe.. Tara hruday ma

  23. @ નિરાલી હિંગવાલા:
    આપના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. મને લાગે છે કે આપ કવિતામાં હું શું કહેવા માંગું છું એ જ ચૂકી ગયા છો…

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *