Send As SMS

Saturday, July 22, 2006

હોવાપણું – ૩

(Arise, awake & stop not......વિવેકાનંદ રોક,
કન્યાકુમારી - ફેબ્રુઆરી-2002)


હોવાપણાંનો તાગ શું પામી શકાય ?
આકાશનાં અવકાશને માપી શકાય ?

આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?
બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?

‘હું કોણ છું?’ આ પ્રશ્નમા અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.

અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,
કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.

થઈ પ્રાણવાયુ શબ્દ જ્યા વહેતા રહે,
એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?

શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?


ડૉ. વિવેક મનહર ટેલર

‘હોવાપણું’ શૃંખલાની આ ત્રીજી અને અંતિમ ગઝલ છે. પહેલી બે ગઝલોમાં પ્રશ્નાર્થ બનીને રહ્યા પછી આ ગઝલમા જવાબોની સમીપે સરકવાની કોશિશ કરી છે.

10 Comments:

At 7/22/2006 10:24:50 PM, સુવાસ ટીમ વર્ક said...

સુવાસ પર લિંક ‘શબ્‍દો છે શ્વાસ મારાં ‘ મુકી દીધી છે.

 
At 7/23/2006 08:07:27 PM, અમિત પિસાવાડિયા said...

‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.

સરસ !

 
At 7/24/2006 12:07:18 AM, sana said...

In 3rd para you have mention that one much not think "Who am I",But how is it possible to leave without our own identity?

Very nicely expressed "Howapanu" in 3 parts.

 
At 7/24/2006 12:08:19 AM, "ઊર્મિ સાગર" said...

‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.

hmmmm....

એમ તો આ પ્રશ્નમાં અટકયા વગર પણ જિંદગીને માણી શકાય, પરંતુ આ પ્રશ્ન પણ કદી આપણો પીછો છોડે એવો તો છે જ નહિં!!

વિવેકભાઇ, "હોવાપણું – 4" માં બધાં જવાબો મળી જશે ખરાને?! હવે તો એની રાહ જોવી જ પડશે! :-)


"ઊર્મિ સાગર"
www.urmi.wordpress.com

 
At 7/24/2006 11:01:46 AM, radhika said...

થઈ પ્રાણવાયુ શબ્દ જ્યાં વહેતાં રહે,
એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?


શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?

" શબ્દો છે શ્વાસ મારાં " blog name aa pankati thi sarthak thay chhe

‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય. nice one....

 
At 7/24/2006 07:10:31 PM, Himanshu said...

Wow...

 
At 7/25/2006 10:28:50 PM, manvant said...

અલગ મેલથી મારાં બે સૂચનો મોકલું છું.
આ કાવ્ય સરસ છે ! અભિનંદન !

 
At 7/27/2006 09:16:05 PM, manvant said...

વિવેકભાઈ! મારું કહેવું એમ છે કે "વિવેક"
એ શબ્દ જ કહેવાય !અક્ષર નથી.
એકલો જ 'એ' અક્ષ્રર છે( સ્વર છે).હવે મને
સ્પષ્ટતા કરવાની સારી તક મળી !સમજાયું ?
ત્રણે સુન્દર કાવ્યો બદલ ખૂબ જ ધન્યવાદ !

 
At 7/28/2006 06:37:41 PM, વિવેક said...

શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?

પ્રિય મનવંતભાઈ,


શબ્દ અને અક્ષરની વચ્ચે રહેલો જે તફાવત આપ મને સમજાવવા માંગો છો એ હું સમજી શક્યો છું અને એ હું જાણું જ છું.

શબ્દનું આયુષ્ય શું? વાંચીને ભૂલી જવાય એટલું... ખરુંને? અને વિવેક તરીકે મારું આયુષ્ય કેટલું? બળીને ખાખ થાઉં એટલુ?

અહીં હોવાપણાંની વાત છે... અહીં જે વાત હું કહેવા માંગું છું એ શબ્દ કે અક્ષરની નથી... મારી કવિતાની છે... મારા દેહનું આયુષ્ય ગમે એટલી નશ્વર હકીકત કેમ ન હોય, પણ હું એકવાર કવિ બન્યો, એટલે કે બીજા અર્થમાં શબ્દ બની ગયો તો અમર-નશ્વર થઈ જવાનો... મારું હોવાપણું શાશ્વત થઈ ગયું. અને એટલે મેં 'અક્ષર' શબ્દને તોડીને 'અ-ક્ષર' શબ્દના ક્ષર ન હોવાપર ભાર મૂક્યો છે.... એક વાર કવિ લોકોના હૃદયમાં રમતો થઈ ગયો એટલે એ અ-ક્ષર થઈ ગયો!

 
At 7/29/2006 12:11:50 AM, manvant said...

વાહ વિવેકભાઈ! તમારી સ્પષ્ટતા ઊડીને આંખે
વળગી ગઈ.તમારે આટલી બધી ચોખવટ કરવી પડી તે બદલ હું અફસોસ સાથે ક્ષમાયાચના કરું છું.બાકી
તમારી જેમ જ મારી સમજ પણ હતી જ !

 

Post a Comment

<< Home